ક્રાઇમ બ્રાંચે તમીલનાડુમાં નાળીયેરવાળા, ફેરીયાનો વેશ ધારણ કરી હત્યા કેસમાં ફરાર આરોપીન દબોચ્યો

  • March 17, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના ગોકુલધામ વિસ્તારમાં 11 વર્ષ પૂર્વે હત્યા કરી નાસી ગયેલા નેપાળી શખસને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તામિલનાડુમાંથી વેશપલટો કરી ઝડપી લીધો હતો.જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગોકુલધામ વિસ્તારમાં વર્ષ 2014માં ભીમસિંહ નેપાળી (ઉ.વ 40) નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે હત્યા ગોવિંદ કાલુરામ ખાન (ઉ.વ 45 રહે. નેપાળ) એ કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદથી આરોપી નાસ્તો ફરતો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ. જાદવની રાહબરી હેઠળ પીએસઆઇ એન એન.એન.પરમાર, એમ.કે.મોવાલિયા,સી.એચ.જાદવ તથા તેમની ટીમ તપાસમાં હતી. દરમિયાન આરોપી હાલ પાંચેક માસથી તામિલનાડુમાં રહેતો હોવાની માહિતી મળી હતી.


બાદમાં એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમા અને સંજયભાઈ ખાખરીયા સહિતની ટીમે અહીં પહોંચી અહીં વાસણ વેચનાર ફેરિયા અને નાળિયેરના વેપારી તરીકે વેશપલટો કરી આરોપી ગોવિંદ કાલુરામ ખાનને ઝડપી લીધો હતો. બાદમાં દુભાષિયાની મદદથી તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ રાજકોટના માલવીયાનગર પોલીસને સોંપી દીધો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, હત્યાનો ભોગ બનનાર ભીમસિંહ પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતો હતો તેની પુત્રીઓ મામાના ઘરે ગોકુલધામમાં ગઈ હતી. ત્યારે ત્યાં રહેતા આરોપીએ તેની છેડતી કરતા ભીમસિંગે ઠપકો આપ્યો હતો. જેથી આરોપીએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. બાદમાં તે સીધો નેપાળ ભાગી ગયો હતો અને છેલ્લા થોડા સમયથી ઉતરાખંડ અને ત્યારબાદ અહીં તામિલનાડુ આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application