જામનગરમાં થોડો સમય શાંત રહયા બાદ ફરી વ્યાજખોરોએ માથુ ઉંચકયું છે તાજેતરમાં ફરીયાદો દાખલ થઇ હતી અને બે દિવસ પહેલા પણ બેકરી સંચાલક મહિલાએ વ્યાજખોરની દાદાગીરીની ફરીયાદ કરી હતી જે મામલો તાજો છે ત્યાં વધુ એક મહિલા વ્યાજખોરોના ચુંગલમાં ફસાયાની ફરીયાદ દાખલ થઇ છે જેમાં ૫૦ હજારના ૮૦ હજાર વસુલી લીબા બાદ વધુ રકમની માંગણી કરી તેમજ બીજો ચેક રીટર્ન કરીશ તેવી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.
જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતી રમીલાબેન શાંતિલાલભાઈ પરમાર નામની ૪૫ વર્ષની મહિલાએ પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી લીધા બાદ વધુ નાણાં કઢાવવા માટે ધાક ધમકી આપવા અંગે પવનચક્કી વિસ્તારમાં રહેતા પરાગ ભરતભાઈ નાખવા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા રમીલાબેને આજથી બે વર્ષ પહેલા રૂપિયાની જરૂર પડતાં આરોપી પરાગ નાખવા પાસેથી ૫૦,૦૦૦ વ્યાજે લીધા હતા, તેનું દૈનિક ૫૦૦ વ્યાજ ચૂકવતા હતા. જેની સામે ત્રણ કોરા ચેક આપેલા હતા.
કટકે કટકે બે વર્ષના સમયગાળા દરમિયાન ૮૦ હજાર જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં પરાગ નાખવા દ્વારા વધુ ૫૦,૦૦૦ ની માંગણી કરાઈ હતી, અને ત્રણ ચેક પૈકીનો એક ચેક કે જેમાં ૧,૩૫,૦૦૦ની રકમ ભરીને બેંકમાંથી ચેક રીટર્ન કરાવી દીધો હતો, ઉપરાંત જો પૈસા નહીં આપે તો બીજો ચેક પણ બેંકમાં જમા કરાવી રિટર્ન કરાવ્યા બાદ ફરિયાદ નોંધાવશે તેવી ધમકી ઉચ્ચારી હોવાથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યા હતો.
દરમ્યાન રમીલાબેનની ફરિયાદના આધારે આરોપી પરાગ નાખવા સામે મની લેન્ડર્સ એકટની જુદી જુદી કલમો હેઠળ સીટી-એ ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. બે દિવસ પહેલા એક મહિલાએ ફરીયાદ નોંધાવ્યા બાદ વધુ એક મહિલા વ્યાજખોરની ચુંગાલમાં ફસાયાનો મામલો સામે આવ્યો છે. ગત વર્ષમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ આદરવામાં આવી હતી અને કડક પગલા લીધા હતા પરંતુ થોડો સમય ભુગર્ભમાં ઉતરી ગયેલા વ્યાજખોરોએ ફરી માથુ ઉચકયું હોય એવું ચિત્ર ઉપસ્યુ છે.