અગ્નિકાંડના વધુ એક આરોપી ફાયર ઓફિસર ઈલેશ ખેરની સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી

  • June 06, 2025 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના નાના મવા રોડ નજીક મકાજી સર્કલ પાસે 27 લોકોનો ભોગ લેનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે પકડાયેલા 15 જેટલા આરોપીઓ કાયદામાંથી છટકબારીઓ શોધવાની વેતરણમાં છે, ત્યારે વધુ એક આરોપી રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર સ્ટેશન ઓફિસર ઈલેશ વાલાભાઇ ખેરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરતા 17મી જુલાઈની મુદત આપવામાં આવી છે.

આ અંગેની હકીકત ગત તા.25 મે 2024ની સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતા બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે ગંભીર ઘટનામાં ખુદ પોલીસે ફરિયાદી બની જવાબદાર મહાનગરપાલિકાના અધિકારીઓ રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા, અને ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), જગ્યાના માલિકો અને રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા જૈન, અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ વગેરે ૧૬ સામે ગુનો નોંધાયો હતો. જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ કનૈયાલાલ હીરનનું મોત થયું હતું. જ્યારે બાકીના 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ કેસમાં ચાર્જશીટ બાદ આરોપીઓ કાનૂનના સકંજામાંથી છટકવા નથી રહ્યા છે. જેમાં જામીન મેળવવા અથવા ફરિયાદમાંથી નામ રદ કરવા અદાલતોમાં અરજી કરી રહ્યા છે. તેમાં કાલાવડ રોડ ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફીસર રોહીત વિગોરાની જામીન અરજી સેશન્સ બાદ હાઇકોર્ટે પણ ફગાવી દેતા તેણે ગયા અઠવાડિયે પોતાના વકીલ મારફત સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા સુપ્રીમ કોર્ટે આગામી 15મી જુલાઈની તારીખની મુદત આપી હતી. દરમિયાન મહાનગરપાલિકાના ચીફ ફાયર સ્ટેશન ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેરની જામીન અરજીઓ સેશન્સ અને હાઇકોર્ટ દ્વારા નકારી દેવાતા તેણે હવે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે તેમાં તારીખ 17મી જુલાઈની મુદત આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application