પરિવારમાં શોકની લાગણી : ચાલકની શોધખોળ
જોડીયા તાલુકાના તારાણા ગામ પાસે ઓવરબ્રીજ નજીક એક ટ્રકના ચાલકે પુરઝડપે ચલાવી યુવાનને હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડીને મોત નિપજાવ્યુ હતું દરમ્યાન નાશી છુટેલા ટ્રકચાલકની શોધખોળ કરવામાં આવી છે.
જોડીયાના તારાણા ગામમાં રહેતા સુરેશ પુનાભાઇ જાદવ (ઉ.વ.૪૧)એ ગઇકાલે ટ્રક નં. જીજે૮વાય-૮૦૮૩ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. જે વિગત મુજબ તા. ૫-૬-૨૫ના સમય દરમ્યાન તારાણા પાસે ઓવરબ્રીજ નજીક ઉપરોકત નંબરના ટ્રકચાલકે બેફીકરાઇ અને ગફલતથી ચલાવીને ફરીયાદીના ભત્રીજા આર્યન કમલેશભાઇ જાદવ (ઉ.વ.૧૮)ને હડફેટે લઇને શરીરે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી નાશી ગયો હતો.
બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, દરમ્યાન અકસ્માતની જાણ થતા જોડીયા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને ફરીયાદના આધારે ટ્રકચાલકની શોધખોળ ચલાવવામાં આવી છે.
નરમાળા ગામમાં પ્રૌઢનું હૃદય બંધ પડી જતા પ્રાણપંખેરુ ઉડયું
જામજોધપુર તાલુકાના નરમાળા ગામમાં રહેતા એક પ્રૌઢને અચાનક ગભરામણ થતા ૧૦૮માં સારવાર અર્થે જામનગર લઇ જવામાં આવેલ જયાં હાર્ટએટેકના કારણે તેમનું મૃત્યુ નિપજયુ હતું.
જામજોધપુરના નરમાળા ગામમાં રહેતા ખેતીના ધંધાર્થી રામાભાઇ રાજાભાઇ ખરા (ઉ.વ.૬૫) રાત્રે તેમના ઘરના ફળીયામાં સુતા હતા એ દરમ્યાન ગભરામણ થવા લાગતા હાર્ટએટેક આવતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે જી.જી. હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યુ હતું, આ બનાવ અંગે નરામાળા ગામમાં રહેતા હમીર રામાભાઇ ખરાએ ગઇકાલે શેઠવડાળા પોલીસમાં જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.