રાજકોટમાં ભરઉનાળે ડ્રેનેજની ૬૮૯૮૩ ફરિયાદ; હવે ચોમાસામાં શું હાલ થશે?

  • May 29, 2025 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વર્ષના બારેય મહિના ડ્રેનેજની ફરિયાદો નહીં ઉકેલાતી હોવાની વ્યાપક ફરિયાદો રહ્યા કરે છે. દરમિયાન ચાલુ ઉનાળામાં તા.૧ માર્ચથી તા.૨૭ મે સુધીના સમયગાળામાં સમગ્ર શહેરમાં ડ્રેનેજની કુલ ૬૮,૯૮૩ ફરિયાદો નોંધાય છે. જો ઉનાળામાં આટલી હદે ફરિયાદો નોંધાતી હોય તો ચોમાસામાં શહેરની હાલત શું થશે ? તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દર ચોમાસે મહાપાલિકા તંત્ર દોષનો ટોપલો મેઘરાજા ઉપર ઢોળે છે અને એવું જાહેર કરે છે કે આ વર્ષે વરસાદ બહુ પડ્યો એટલે ડ્રેનેજની ફરિયાદો વધી ગઇ છે, તંત્ર કેટલેક પહોંચે વિગેરે વિગેરે જેવા જવાબો બચાવમાં રજુ કરાય છે.


મહાપાલિકાના કોલ સેન્ટરમાં ઉનાળામાં ડ્રેનેજની કુલ ૬૮,૯૮૩ ફરિયાદો નોંધાઇ છે જેમાંથી ૬૭,૯૧૬ સોલ્વ થઈ છે અને ૧૦૬૭ હજુ પેન્ડિંગ છે. નોંધાયેલી ફરિયાદોમાં રોડ ઉપર ડ્રેનેજનું પાણી વહેતુ હોવાની ૧૦૦૪ ફરિયાદો, ડ્રેનેજ લાઈન ચોક અપ થયાની ૨૪,૨૪૭ ફરિયાદો, ડ્રેનેજ લાઈન સાફ કર્યા બાદ તેમજ ડ્રેનેજ ફરિયાદ ઉકેલ્યા બાદ સ્થળ ઉપરથી કચરો નહીં ઉપાડવાની ૨૫૮૭ ફરિયાદ, ડ્રેનેજની મુખ્ય લાઈન ઓવરફ્લો થઈ રહ્યાની સૌથી વધુ ૪૦,૦૯૭ ફરિયાદ, પાઇપ ગટર છલકાઈ રહ્યાની ૧૦૪૮ ફરિયાદો ઉનાળામાં નોંધાઇ છે.


ચોમાસામાં ડ્રેનેજની લાઇનો ચોક અપ થયાની વ્યાપક ફરિયાદો ઉઠે છે અને તે નહીં ઉકેલાવાને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી જતા હોય છે. બીજી બાજુ ચોમાસામાં ડ્રેનેજ ફરિયાદ નિકાલ કેન્દ્રના ફોન નહિ ઉપડતા હોવાની તેમજ ફરિયાદ નોંધાયા બાદ કલાકો કે દિવસો સુધી નહીં ઉકેલાતી હોવાની વ્યાપક ફરિયાદો દર વર્ષે ઉઠે છે ત્યારે આ વર્ષે ચોમાસા પહેલા ડ્રેનેજ વિભાગ તેમજ ફરિયાદ નિકાલ કોન્ટ્રાકટર એજન્સીના સ્ટાફ સાથે મિટિંગ યોજી જરૂરી સુચના અપાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.


શહેરમાં ચાલતી પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ડ્રેનેજના તમામ ઢાંકણાની ચકાસણી, ડ્રેનેજ મેનહોલની સફાઇ જેવી કામગીરી કરવાની હોય છે પરંતુ આજ દિવસ સુધી તેવી કોઇ કામગીરી પણ કરાઇ નથી.


ડ્રેનેજ ફરિયાદ નિકાલ કોન્ટ્રાક્ટમાં ૩૦થી ૧૦૦ ટકા ઓન

રાજકોટ મહાપાલિકા દ્વારા ડ્રેનેજની ફરિયાદોનો નિકાલ કરવા અપાતા કોન્ટ્રાક્ટમાં ૩૦થી ૧૦૦ ટકા ઓનથી મતલબ કે ઉંચા ભાવથી કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેમ છતાં ફરિયાદોના નિકાલમાં અસહ્ય વિલંબ યથાવત રહે છે, બીજી બાજુ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ તેમજ ઇજનેરો એવો બચાવ રજૂ કરે છે કે ત્રણ ત્રણ વખત કે ચાર ચાર વખત ટેન્ડર કરવા છતાં આ કામ માટે કોઇ આવતું નથી તેથી નાછૂટકે જે આવે તેને કામ આપવું પડે છે !



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application