રાજકોટમાં 15 બાંગ્લાદેશી ઝડપાયા, મજુરીકામ, દેહવિક્રયની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું, NIAએ તપાસ ઝંપલાવશે

  • April 30, 2025 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત પોલીસે સુરત અને અમદાવાદમાં મેગા ઓપરેશન કરી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા. રાજકોટ પોલીસે પણ શનિવારથી આ કામગીરી શરૂ કરી હતી. દરમિયાન પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ગેરકાયદે રીતે રહેતા ૧૩ બાંગ્લાદેશીઓને અગાઉ ઝડપી લીધા બાદ વધુ બે બાંગ્લાદેશીઓને ઝડપી લેતા કુલ આંકડો ૧૫ ઉપર પહોંચ્યો છે. જેમાં નવ પુરૂષ, પાંચ મહિલા અને એક સગીરનો સમાવેશ થાય છે.


બીજી તરફ પોલીસ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત

બાંગ્લાદેશી શખસો ઝડપાયા બાદ સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીએ દ્વારા તપાસનો ઘમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે આ બાંગ્લાદેશીઓની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(એન.આઇ.એ) દ્વારા પુછપરછ કરવામાં આવશે. બીજી તરફ પોલીસ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે અને આગામી દિવસોમાં વધુ કેટલાક બાંગ્લાદેશીઓ ઝડપાય તેવી શક્યતા સેવાઇ રહી છે.


પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં એસ.ઓ.જી. પીઆઇ એસ.એમ.જાડેજા, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા ઇ.ઓ.ડબલ્યુની ટીમ દ્વારા શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.


રહેઠાંણના પુરાવા ચકાસવામાં આવ્યા હતા

શહેર પોલીસના આ ઓપરેશન દરમિયાન શહેરના ભગવતીપરા વિસ્તાર, સોની બજાર, રામનાથપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીઓના રહેઠાંણના પુરાવા ચકાસવામાં આવ્યા હતા. પોલીસે આગાઉ ગેરકાયદે રહેતા ૧૩ બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા બાદ વધુ ભગવતીપરા વિસ્તારમાં રહેતા વધુ બે બાંગ્લાદેશીઓને ઝડપી લીધા છે. અત્યાર સુધી ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાં નવ પુરૂષ, પાંચ મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે.જેને હાલ નજરકેદમાં રખાયા છે.


આ બાંગ્લાદેશીઓની પુછપરછ કરવામાં આવશે

રાજકોટમાં બાંગ્લાદેશી શખસો ઝડપાયા બાદ સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીએ દ્વારા તપાસનો ઘમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ૧૩ જેટલી એજન્સીઓ દ્વારા બાંગ્લાદેશીઓની પુછપરછ કરવામાં આવી રહી છે.તે કોઇ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવયેલ છે કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિમાં આ શખસો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું નથી. મોટાભાગે મજુરીકામ કરતા હોવાનું અને કેટલીક મહિલા દેહવિક્રયની પ્રવૃત્તિમાં જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. આ મામલે હવે આગામી દિવસોમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(એન.આઇ.એ) ઝડપાયેલા આ બાંગ્લાદેશીઓની પુછપરછ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application