રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૧૩૫૦૭ નર્સ બજાવે છે નિષ્ઠાથી ફરજ

  • May 13, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે એવી જાણકારી આપવામાં આવી હતી કે રાજ્યમાં ખાનગી ૯૯૭ સંસ્થામાં ૪૭,૧૭૦ સીટ ઉપર યુવક યુવતીઓ નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા છે. 
ડોક્ટર અને દર્દીને સાંકળતી એક મહત્વની કડી નર્સ છે,કોઈપણ પ્રકારની આરોગ્ય સંબંધી સેવા પુરી પાડવામાં નર્સનો ફાળો ખુબ જ અગત્યનો છે. દર્દીની સારવારમાં નર્સીંગ કેરનો મહત્વનો ફાળો છે. નર્સીંગ કેર એટલે ફક્ત દર્દીને દવા અને ઇન્જેક્શન આપવા એટલું જ નહી પરંતુ નર્સીંગ કેર થકી દર્દીની સારવાર કરતી વખતે હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ બનાવી આરોગ્ય સંબંધીત શિક્ષણની યોગ્ય સમજણ આપી સારવાર કરવાનો છે.નર્સીંગની સેવાઓ સુદ્રઢ બનાવી શકાય અને દર્દીઓ સુધી ગુણવત્તાસભર સારવાર પુરી પાડવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. રાજ્યમાં સરકારી દવાખાનાઓમાં દર્દીઓની સેવામાં હાલ ૧૩,૫૦૭ નર્સ ફરજ બજાવી રહી છે.
રાજ્યમાં હાલ કુલ-૬૧ સંસ્થાઓ ૧૯૨૦ સીટ સાથે અને ખાનગી સંસ્થાઓ ખાતે ૯૯૭ સંસ્થાઓ ખાતે કુલ ૪૭,૧૭૦ સીટ સાથે નર્સીંગના જુદા-જુદા કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે.કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યમાં નર્સીંગની સેવાઓ સુદ્રઢ બનાવવા માટે બી.એસ.સી.(ન.)ની ૫૦૦ સીટ અને પાંચ નવી કોલેજોને મંજુરી આપવામાં આવી હતી જેની કામગીરી હાલ ચાલી રહી છે. આ નવી કોલેજ ગુજરાતના મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા અને નવસારીમાં બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.રાજ્ય સરકાર દ્વારા નર્સીંગની સારવારની ક્ષમતામાં વધારો કરવાના હેતુથી સમયાંતરે આરોગ્યલક્ષી વિવિધ તાલીમ આપવામાં આવે છે. જેનો સીધો લાભ દર્દીઓને આપવામાં આવતી ગુણવત્તાસભર સેવાઓને મળે છે.આરોગ્ય સેવાઓમાં નર્સના યોગદાનને ધ્યાનમાં લઈને સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૨ મેને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નર્સીંગ વ્યવસાયમાં રહેલા નાગરિકોના સમર્પણ, સેવા અને મહેનતને બિરદાવાનો છે.આ દિવસ વિશ્વના નર્સો માટે એક ખુબ જ વિશિષ્ટ અને ગૌરવનો દિવસ છે.૧૨ મે ને પસંદ કરવાનો ખાસ કારણ એ છે કે આ દિવસે જગવિખ્યાત નર્સ અને નર્સિંગ વ્યાવસાયિક પ્રવૃત્તિઓના પાયાના પથ્થર તરીકે ઓળખાતી ફ્લોરેન્સ નાઈટિંગેલનો જન્મદિવસ છે.૨૦૨૫ના અંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ વર્ષ ૨૦૨૫ માટે આઈ.સી.એન. દ્વારા અવર નર્સ, અવર ફ્યુચર, ધ ઈકોનોમીક પાવર ઓફ કેર નક્કી કરવામાં આવી છે.આ થીમના માધ્યમથી એ દર્શાવવામાં આવ્યું છે કે,નર્સો માત્ર આરોગ્ય જાળવવાની જવાબદારી જ નથી ભજવતા, પણ તેઓ સમગ્ર આરોગ્ય વ્યવસ્થા અને અર્થતંત્ર માટે પણ આધાર‚પ છે.જ્યારે આરોગ્ય સેવાઓમાંયોગ્ય નર્સીંગ સ્ટાફ હોય, ત્યારે સારવારની ગુણવત્તા સુધરે છે, દર્દીઓ ઝડપથી સારા થાય છે જેથી અર્થતંત્ર પરનો ભાર ઓછો થાય છે.નર્સીસ કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિ જેવી કે ભુકંપ, કોમી રમખાણો, પુર અને યુધ્ધમાં પણ પોતાના પરિવારની ચિંતા છોડીને રાષ્ટ્રસેવામાં હરહંમેશા ખડેપગે તૈયાર રહે છે. વિશ્ર્વમાં કોરોના મહામારીદરમિયાન નર્સોની ભુમિકા વધુ સ્પષ્ટ બની હતી.
પોતાનું જીવન જોખમમાં મુકીને દર્દીઓની સારવાર કરી હતી.પી.પી.ઈ. કિટ પહેરીને સતત કલાકો સુધી ડ્યુટી પર રહી, ઘરના સભ્યો સાથે સંપર્ક ઘટાડી મનોબળ સાથે તેમણે ફરજ બજાવી હતી.
નર્સો આરોગ્ય વ્યવસ્થાનો એક અનિવાર્ય અને અદૃશ્ય પાયો છે. ડોક્ટર દર્દીને સારવાર આપે છે, પણ નર્સ તેનું જીવન બચાવવા માટે ૨૪ કલાક તેની સાથે રહી સેવા આપે છે.દર્દીની સંભાળ, સમયસર દવાઓ આપવી,સારવારની પ્રક્રિયા દરમિયાન સતત દેખરેખ રાખવી, અને દર્દી તથા તેના પરિવારજનોને માનસિક સહારો આપી નર્સો એક મહત્ત્વપુર્ણ ભુમિકા ભજવે છે.
નર્સ માત્ર વ્યવસાય નથી, તે એક સેવા છે. માનવતાની ભાવના ધરાવતી વ્યક્તિ નર્સ બની શકે છે.આંતરરાષ્ટ્રીય નર્સ દિન એ માનવ સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો દિવસ છે. આજે જ્યારે આખું વિશ્ર્વ આરોગ્ય સેવાની નવી પડકારો સામે ઊભું છે, ત્યારે નર્સોની ભુમિકા વધુ મહત્વપુર્ણ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application