પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતની ભાજપ પ્રેરિત એનડીએ સરકારએ તા.૯ જુનના રોજ ૨૦૧૪થી ૨૦૨૫ સુધીના ૧૧ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે ત્યારે કેન્દ્ર સરકારની સિધ્ધિ યાત્રા વર્ણવવા માટે આજે રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા સહિતના હોદેદારોની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેને સંબોધન કરતા રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે મોદી સરકારના ૧૧ વર્ષ એટલે સંકલ્પથી સિધ્ધિની યાત્રા છે. ગામડા અને ગરીબોને દિલમાં રાખીને કેન્દ્ર સરકારએ વિકાસની વણથંભી આગેકૂચ જારી રાખી છે.
પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત સાંસદ પરસોતમ રૂપાલા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ ૧૧ વર્ષની સિધ્ધિ યાત્રા વર્ણવતા જણાવ્યું હતું કે મેઇક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત, જન ધન, આયુષ્યમાન કાર્ડ, જીએસટીનો અમલ, વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરમાં ૩૭૦ની કલમની નાબુદી, રામ મંદિર નિર્માણ, ઓપરેશન સિંદૂર સહિતની અનેક સિધ્ધિઓ છેલ્લા ૧૧ વર્ષમાં હાંસલ થઇ છે.
રૂપાલાએ જણાવ્યું હતું કે લોકશાહીનો પાયો ગામડા છે, ગામડા પછી તાલુકા, જિલ્લા, નગર પછી મહાનગર. હાલ સુધી દિલ્હીથી આવતો પૈસો ગામડા સુધી પહોંચતો ન હતો તે સૌ જાણે છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એવી વ્યવસ્થા નિર્માણ કરી કે આજે દિલ્હી ફાળવાતો પૈસો સીધો જ ગ્રામ પંચાયતના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે તેના કારણે છેલ્લા ૧૧ વર્ષમાં ગામડાઓનો અદભુત વિકાસ થયો છે.
તેમણે ઉમેર્યું હતું કે મોદી સરકારે આયુષ્યમાન કાર્ડ જેવી આશીર્વાદરૂપ યોજના અમલી કરીને ગરીબ વર્ગ અને મધ્યમવર્ગની આરોગ્યલક્ષી ચિંતા દૂર કરી છે, હવે ગરીબ માણસ પણ સારામાં સારી હોસ્પિટલમાં નિદાન અને સારવાર માટે જઇ શકવા સમર્થ છે. દેશમાં ૫૦ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ અપાયા છે અને આજ સુધીમાં અંદાજે કુલ ૧૫ કરોડથી વધુ નાગરિકોએ રૂ.પાંચ લાખ સુધીની ફ્રી સારવારનો આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ લાભ મેળવ્યો છે.
એક સમયે પડકારરૂપ જણાતા જીએસટીની સફળ અમલવારી કરવાની સાથે સમયાંતરે ફરિયાદો અને સૂચનો આવે તે મુજબ ટેક્સના દરમાં વધ ઘટ કરવા સહિતના નિર્ણયો સર્વાનુમતે કર્યા છે જે પણ એક સિધ્ધિ છે.
દેશમાંથી કાળું નાણું દૂર કરવા અને ગરીબ વર્ગના નાનામાં નાના માણસને બેન્કિંગ સાથે જોડાવા ઝીરો બેલેન્સથી બેન્ક એકાઉન્ટ ખુલે તેવી જન ધન યોજના શરૂ કરી દેશમાં ૫૦ કરોડ નાગરિકોના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા છે તે નાની સુની વાત નથી તેમ રૂપાલાએ જણાવ્યું હતું.
દેશને છેલ્લા ૧૧ વર્ષમાં વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ મળી છે, હાઇવે હોય , ટનલ હોય , બ્રિજ હોય કે પછી એરપોર્ટ, એઇમ્સ કે આઇઆઇટી હોય દરેક ક્ષેત્રે કેન્દ્ર સરકારે હાઇ સ્કેલથી કામ કર્યું છે અને નગરો તેમજ મહાનગરોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે બજેટરી- ફાઇનાન્સિયલ ટેકો આપ્યો છે.
પ્રેસ કોંફરન્સમાં વધુમાં રૂપાલાએ જણાવ્યું હતું કે ૨૦૧૪માં દેશમાં ૧૮૦૦૦ ગામ વીજળી વિહોણા હતા જ્યારે આજે ૧૧ વર્ષ બાદ આ તમામ ગામો વિજપ્રકાશથી ઝળહળી રહ્યા છે. ગુજરાત મોડેલની જ્યોતિગ્રામ યોજનાને કેન્દ્ર સરકારે કેન્દ્રીય સ્તરે અમલી બનાવી ગામડાઓને વીજળી આપી છે.
કલાઇમેટ ચેન્જ નામનો શબ્દ જ્યારે ચર્ચામાં ન હતો ત્યારે અને દેશના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પર્યાવરણની ચિંતા કરી ગુજરાત સરકારમાં કલાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો છે અને હાલ કેન્દ્રમાં પણ આવો વિભાગ કાર્યરત છે. વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી મોદીએ એક પેડ માં કે નામ તેવી અપીલ કરતા દેશમાં લાખો વૃક્ષો રોપાયા છે જે પણ એક સિધ્ધિ છે.
એક સમય હતો જ્યારે ભારત ડિફેન્સના સાધનો આયાત કરતું હતું જ્યારે આજનું ભારત ડિફેન્સના સાધનોનું નિર્માણ અને નિકાસ કરે છે મેઈક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનની આ સિધ્ધિ છે. તાજેતરમાં લડાયેલા ઓપરેશન સિંદૂરમાં પણ ભારતે દેશમાં જ બનાવેલા ડિફેન્સના સાધનોથી દુષમનોને પરાસ્ત કર્યા હતા તેમ રૂપાલાએ ઉમેર્યું હતું.
આ ઉપરાંત કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી, રામ મંદિર નિર્માણ, વિપક્ષના વિરોધ વચ્ચે વક્ફ અંગેનો નિર્ણય, કાશી વિશ્વનાથ કોરિડોર નિર્માણ તેમજ અંગ્રેજોના બનાવેલા લોકસભા ભવનનું ડિમોલિશન કરીને તેના સ્થાને આઝાદ ભારતનું નવું લોકસભા ભવન બનાવ્યું તે સહિતની બાબતો ગૌરવરૂપ સિધ્ધિઓ હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું.
આ તકે લોકસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે દેશના હિતમાં મજબુત નિર્ણયો લીધા છે. જેનાથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારી સરકાર બની અને દેશમાં પારદર્શિતાનું નવું ઉદાહરણ પુરૂ પાડયું છે. દેશના વિકસિત ભારત માટે જમ્મુ-કાશ્મિરમાં આર્ટીકલ ૩૭૦ અને ત્રીપલ તલાક નાબુદ કરવાવાળી રાજકીય સરકાર છે જે અશક્ય હતું પરંતુ મોદી સાહેબના નેતૃત્વમાં થયેલા અકલ્પનીય નિર્ણયોના સાક્ષી આપણે બન્યા છીએ. ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં રહેલા ૯ આતંકી સેન્ટરોને નાશ કરવામાં આવ્યા જેમાં ૧૦૦ થી વધુ આંતકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વને મેસેજ આપ્યો છે કે ભારત ફકત વિકસીત નથી થયું પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મનોને જવાબ આપી શકે છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરા, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે. ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહેન્દ્રભાઈ પાડલીયા, જીતુભાઈ સોમાણી, મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ભાજપના સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા રાજુભાઈ ધ્રુવ. મહામંત્રી અશ્વીનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, આ સંકલ્પથી સિદ્ધિ મોદી સરકારના -૧૧ વર્ષના કાર્યક્રમોના સંયોજક શહેર ભાજપ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, સહસંયોજક શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શીંગાળા, હરેશભાઈ કાનાણી સહિત આ પ્રેસ કોન્ફરન્સના કાર્યક્રમની સફળતા માટે કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, કાર્યાલય મંત્રી હિતેષભાઈ ઢોલરીયા, સહકાર્યાલયમંત્રી શૈલેષભાઈ દવેએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech