ઉપલાકાંઠે ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રભારી વચ્ચે સંગઠન મામલે ધબધબાટી

  • April 10, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના ઉપલાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫માં આજે સવારે કુવાડવા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં ડામરકામનું ખાતમુહૂર્ત હતું. દરમિયાન આ ખાતમુહૂર્તમાં આવેલા વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરિયા અને ભાજપના વોર્ડ પ્રભારી દુષ્યંત સંપટ વચ્ચે વોર્ડ સંગઠન અને શહેર સંગઠનના મુદ્દે ચાલતી વાતચીતએ એકાએક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તું તું મેં મેં થયા બાદ ગાળાગાળી થતા ઉપસ્થિત પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો હતપ્રભ બની ગયા હતા. એક તબક્કે સામસામે કાંઠલા પણ ખેંચાઇ ગયા હોવાની ભાજપના કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે. ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રભારી વચ્ચે ધબધબાટી બોલી ગયાની વાત વાયુવેગે પ્રસરી જતા શહેર ભાજપમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

વિશેષમાં વિશ્વસનીય વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ

આજે ઉપલાકાંઠે એક્શન પ્લાન હેઠળના ડામરકામનું ખાતમુહૂર્ત હતું જે અંતર્ગત વોર્ડના તમામ શ્રેણીના અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. દરમિયાન વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર અને ફાયર બ્રિગેડ કમિટિ ચેરમેન દિલીપભાઇ લુણાગરિયા તેમજ વોર્ડ પ્રભારી દુષ્યંત સંપટ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રારંભે હસી મજાક બાદ વોર્ડ સંગઠનની ચર્ચા શરૂ થતા જ બન્ને વચ્ચે ગરમા ગરમી થઇ હતી અને ઉગ્ર બોલાચાલી સાથે જોતજોતામાં વાત ગાળાગાળી સુધી પહોંચી ગઇ હતી. ઉપસ્થિતઓએ બન્ને છુટા પાડવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ તે કારગત નિવડ્યા ન હતા અને એક તબક્કે સામસામે કાંઠલા ખેંચાઇ ગયા હતા તેવી લોકમુખે થતી ચર્ચાના પડઘા કમલમ સુધી પહોંચ્યા હતા.

મેયર નયનાબેન પેઢડિયા અને શહેર ભાજપ મહામંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બનેલી આ ઘટના સવારથી ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે. શિસ્તબધ્ધ પક્ષ ગણાતા ભાજપ દ્વારા આ મુદ્દે બન્નેમાંથી કોઇ સામે એક્શન લેવાશે કે કેમ ? તે અંગે પણ ગણગણાટ શરૂ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કામનું ખાતમુહૂર્ત ૬૮-પૂર્વના ભાજપના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના હસ્તે કરવામાં આવનાર હતું અને મહાપાલિકા દ્વારા આ ખાતમુહૂર્ત સમારોહના નિમંત્રણ કાર્ડ પ્રસિધ્ધ કરી તેનું વિતરણ પણ કરાયું હતું દરમિયાન અનિવાર્ય કારણોસર ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ ઉપરોક્ત ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમની ગેરહાજરીમાં આવી માથાકૂટની ઘટના બની હતી. ખાતમુહૂર્ત પ્રસંગે એકત્રિત થયેલા ભાજપના કાર્યકરોમાં એવી પણ ચર્ચા જોવા મળી હતી કે ઉદયભાઇ કાનગડ હાજર ન હતા નહીં તો આવી ઘટના બને જ નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News