શકિતસિંહ ગોહીલ, અમીત ચાવડા સાથે જામનગરના કોંગી આગેવાનોની બુધવારે થઇ બેઠક: એક ફોર્મમાં ઉમેદવારનું નામ અને ત્રણ સુચનો માગવામાં આવ્યા: પેટીમાં અભિપ્રાયો મેળવીને ગુપ્તતા જાળવવામાં આવી: ચૂંટણી પહેલા થઇ ચૂંટણી....?
લોકસભાની ચૂંટણીના મહાસંગ્રામની ઘડીઓ ગણાય રહી છે, હવે તો મહીનાઓ નહીં દિવસો બાકી રહ્યા છે, આગામી સમયમાં ગમે ત્યારે ચૂંટણી પંચ દેશમાં જુદા-જુદા તબકકાઓમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે ત્યારે સતાધારી ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીની તૈયારીનો ધમધમાટ છે તો મુખ્ય વિપક્ષ એવા કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓની ગતિ વધારવામાં આવી છે. અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના વડા કાર્યાલયે જુદા-જુદા જિલ્લાના કોંગી આગેવાનો સાથે પ્રદેશના દિગ્ગજોએ કરેલી બેઠક અને ત્યારબાદ ઉમેદવારને લઇને મોક ચૂંટણી થઇ હોવાનું જાણવા મળ્યું છે જેમાં જામનગર જિલ્લાના આગેવાનોએ પણ પોતાના મત મંતવ્યો આપ્યા છે અને ઉમેદવારના નામના સુચન કર્યા છે. પ્રક્રિયા રસપ્રદ રહી હોવાનું મનાય છે.
એલીઝબ્રિજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં શકિતસિંહ ગોહિલના વડપણ હેઠળ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ રાજયના જુદા-જુદા જિલ્લાના કોંગી આગેવાનો સાથે બેઠકનું આયોજન કર્યુ હતું અને તા.૧૭ના રોજ જામનગર કોંગીના કાફલાને સાંભળવામાં આવ્યો હતો અને એમના મત મંતવ્યો મેળવાયા હતાં.
લગભગ પ્રથમ વખત ગુજરાત કોંગ્રેસના વડાઓ તરફથી ચુંટણી પુર્વે ઉમેદવારોના ચહેરા સુનિશ્ર્ચિત કરવા, શકિતશાળી નામ મેળવવા અને સર્વસંમતી છે કે કેમ તેનો અંદેશો પ્રાપ્ત કરવાના ઉદેશ્ય સાથે બેઠકોનું આયોજન કર્યુ હોવાનું માનવમાં આવે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહીલ, પુર્વ અઘ્યક્ષ અમિત ચાવડા, મધુસુદન મિસ્ત્રી, સિઘ્ધાર્થ પટેલ અને સૌરાષ્ટ્રના પ્રભારી સંદીપકુમાર દ્વારા તબકકાવાર જીલ્લામાંથી બોલાવવામાં આવેલા કોંગીના પુર્વ સાંસદો, પુર્વ ધારાસભ્યો, શહેર-જીલ્લાના અઘ્યક્ષો, મહાપાલીકાના વિપક્ષી નેતાઓ, પુર્વ નેતાઓને સાંભળવામાં આવ્યા હતા.
આગેવાનો દ્વારા કોંગ્રેસની વર્તમાન સ્થીતીનો ચિતાર મેળવવામાં આવ્યો હતો, પક્ષ કેટલો મજબુત છે, કયાં શું ખામી છે વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી અને આ દરમ્યાન લોકસભાની ચુંટણી લડી શકે તેવા સક્ષમ ચહેરાને પસંદ કરવા ચુંટણી પ્રકારની એક પ્રક્રિયા કરવામાં આવી હતી.
જે તે જીલ્લાના આગેવાનોને એક ફોર્મ આપવામાં આવ્યુ હતું, જેમાં લોકસભાની ચુંટણી લડી શકે એવા એક ઉમેદવારનું નામ માંગવામાં આવ્યુ હતું તેમજ ૩ સુચનો પણ માગવામાં આવ્યા હતા, તમામ આગેવાનો તરફથી આ ફોર્મ ભરીને એક બંધ પેટીમાં નાખી દેવાના હતા જેથી કરીને તમામના મત-મંતવ્યો ગુપ્ત રાખી શકાય, આમ જોઇએ તો એક પ્રકારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારને લઇને સિલેકટેડ લોકો વચ્ચે ચુંટણી જેવી પ્રક્રિયા કરવામાં આવી હતી.
જામનગરના પુર્વ સાંસદ વિક્રમ માડમ, પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભીખુભાઇ વારોતરીયા, પુર્વ મંત્રી દિનેશભાઇ પરમાર, ચેમ્બર પ્રમુખ અને કોંગીના આગેવાન બિપેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસના સહારાબેન મકવાણા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદા, પુર્વ વિપક્ષી નેતા અલતાફ ખફી, મહિલા કોંગ્રેસના રંજનબેન ગજેરા, આનંદ ગોહીલ, મનોજ કથીરીયા સહિતનો કાફલો ઉપસ્થીત રહયો હતો.
લોકસભાની ચુંટણીને લઇને જામનગરભરમાં એવી ઉત્તેજના છે કે કોંગ્રેસ તરફથી કયા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવે છે, જો કે તેનો સ્પષ્ટ ઉત્તર હજુ કોઇ પાસે નથી એટલે જ કદાચ પ્રદેશ કોંગી દ્વારા કેન્દ્રના મોવડી મંડળને વધુ નામના વિકલ્પ આપવા નામ મેળવવાની પ્રક્રિયા કરાઇ તેમાં ચુંટણી જેવો તાસીરો જોવા મળ્યો.
***
તેમાં પણ થયું ક્રોસ વોટીંગ...?
કોંગી દ્વારા પ્રદેશ કાર્યાલયે જયારે જામનગરની બેઠક માટે નામ મેળવવામાં આવ્યા અને વોટીંગ પ્રથા જેવું કરાયું તેમાં પણ એવી એક રસપ્રદ વાત જાણવા મળી છે કે અહીં પણ ક્રોસ વોટીંગ થયું હતું... કેવી રીતે
નિયમ એવો બનાવાયો હતો કે, જે તે જીલ્લાના આગેવાને પોતાની બેઠક માટે અન્ય વ્યકિતનું નામ આપવાનું હતું પરંતુ એવું કહેવાય છે કે એક તરવરીયા મકર રાશીના કોંગી આગેવાને બીજા કોઇનું નામ દેવા કરતા પોતાનું નામ જ ઉમેદવાર તરીકે ઠોકી દીધું હોવાનું ચર્ચાઓમાંથી જાણવા મળ્યું છે.
***
વિક્રમ માડમ, જે.ટી. પટેલ, જે.પી. મારવીયા સહિતના નામો અપાયા...?
કોંગી તરફથી ઉમેદવાર માટે થયેલી ચુંટણી જેવી આ પ્રક્રિયા આમ તો ગુપ્ત હતી પરંતુ સુત્રોમાથી એવું જાણવા મળ્યું છે કે અહીંથી જે કાફલો ગયો હતો એ લોકોએ જામનગર લોકસભાની બેઠક માટે પુર્વ સાંસદ વિક્રમ માડમ, પુર્વ જીલ્લા પ્રમુખ જે.ટી. પટેલ, જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા જે.પી. મારવીયા સહિતના નામ લખીને આપ્યા છે, આ સિવાય પણ કોઇ નામ હોઇ શકે છે.
***
શું કોંગી આ બેઠક ‘આપ’ને આપી દેશે...?
લોકસભાની ચુંટણીનો રસપ્રદ મુકાબલો ખુબ નજીક આવી ગયો છે, તમામ પક્ષ પોતાની ધાર કાઢી રહયા છે, મહા મુકાબલા પુર્વે અનેક રાજકીય સમીકરણો સર્જાશે તેમાં એવી પણ ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે કે, કદાચ જામનગર લોકસભાની બેઠક સમજુતી અંતર્ગત કોંગ્રેસ દ્વારા કેઝરીવાલની આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવશે, જો આવું થાય તો સ્વાભાવીક રીતે વર્તમાન ધારાસભ્ય હેમત ખવા અથવા પ્રકાશ દોંગા ઉમેદવાર બની શકે, જો કે સ્થાનીક કોંગી આગેવાનોએ જામનગરની બેઠક આપને અપાશે એવા મુદ્દે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech