કાશ્મીર ટૂરના બુકિંગ ધડાધડ કેન્સલ, આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજકોટ અને સૌરાષ્ટ્રથી 100થી 125 ટિકિટ કેન્સલ થઈ

  • April 23, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની અસર ગુજરાતના ટૂરિઝમ ક્ષેત્ર પર પડી છે. જમ્મુ-કાશ્મીરના બુકિંગ ધડાધડ કેન્સલ થઈ રહ્યા છે. આજે બપોરના 12 વાગ્યા સુધીમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના 100થી 125 ટિકિટનું કેન્સલેશન થયું છે.  


ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટો ફટકો પડશે

ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સભ્ય ગોપાલ ઉનડકટે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં બનેલી દુઃખદ ઘટનાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટો ફટકો પડશે. ટ્રાવેલ અને ટુરીઝમ ક્ષેત્રને આ મોટો ફટકો છે. એપ્રિલ અને મે મહિનામાં ઉનાળાની ઋતુ દરમિયાન સૌથી વધુ બુકિંગ ટુરીઝમ ક્ષેત્ર ઉપર થતું હોય છે. હાલની સ્થિતિ દરમિયાન 50% જેટલું કેન્સલેશન નોંધાઈ રહ્યું છે. આગામી તારીખ 10 મે સુધી જે લોકોએ શ્રીનગરનું બુકિંગ કરાવ્યું હતું તે લોકો અત્યારે તેમનું બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. 


40 ટકા ગુજરાતીઓ જમ્મુ-કાશ્મીર ફરવાનું પસંદ કરતા હોય છે

વધુમાં જણાવ્યું હતું કે, સમર વેકેશન દરમિયાન ડોમેસ્ટિક લેવલે ગુજરાતીઓ મોટાભાગે એટલે કે લગભગ 40% લોકો જમ્મુ-કાશ્મીર અને શ્રીનગરમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે. હાલમાં ભયની સ્થિતિ લોકોમાં જોવા મળી રહી છે. જેના કારણે લોકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. કાલ રાતથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં મારી પાસે રાજકોટ અને સૌરાષ્ટ્રના મુસાફરોનું 100થી 125 ટિકિટનું કેન્સલેશન આવી ગયું છે. 


ફસાયેલા ટૂરિસ્ટોને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી 

રિટર્ન ફ્લાઇટની ટિકિટના રેટ હાલમાં હેવી જણાઈ રહ્યા છે. એર કંપની દ્વારા એડિશનલ ફ્લાઇટ પણ મૂકવામાં આવી છે અને ફસાયેલા ટૂરિસ્ટોને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી સારી વાત એ છે કે એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ તેમજ ઈન્ડિગો દ્વારા 30 એપ્રિલ સુધી જે લોકોની રિટર્ન ફ્લાઇટનું બુકિંગ કરાવવામાં આવેલ હતું તેમનું કેન્સલેશન કરી આપવામાં આવ્યું છે. આ સાથે ફસાયેલા ટુરિસ્ટોને પણ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે પણ લોકોને જમ્મુ-કાશ્મીર કે શ્રીનગરની અંદર કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો તેઓ એજન્ટ એસોસિએશનનો સંપર્ક કરી શકે છે. જેનો સંપર્ક કરવા માટે પ્રમુખ સમીરભાઈ 7666666612, 9906710008 અને સેક્રેટરી ઈર્શાદ હઝારી 9906808017 તેમજ ટ્રેઝરર રાહીલ બસીર 9596357777 નંબર પર સંપર્ક કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application